tntrilekh shanti paritoshik
વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.
પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.
સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.
સૌજન્ય: ગુજરાત સમાચાર
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें