પ્રાસંગિક
++++++
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ની પરંપરા માનવીય ચેતના ના ઉચ્ચ શિખરો છે.
+++++
ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે સદીઓથી પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેને નષ્ટ કરવાવાળા ખાકમાં મળી ગયા પરંતુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ આજે પણ અસ્તિત્વમાં જ છે. માનવ જાતના ભવિષ્યની તે એકમાત્ર આશા છે.
++++++++++(
જર્મની થી માંડી અમેરીકા સુધીના મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે દુનિયામાં ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે તેનું કારણ તેના શાશ્વત અને ઉચ્ચ મૂલ્યો છે આના કારણે ભારતિય સંસ્કૃતિની વિશ્વ સંસ્કૃતિ માનવામાં આવે છે જોકે આની સામે સનાતન ધર્મ અને પ્રાચીન સંસ્કૃતિને ઉતારી પાડી તેને નષ્ટ કરવાના પ્રયાસો કરનાર લોકો પણ મોટી સંખ્યામાં જ છે. અને તે લોકો ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોને તોડી નાખવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આમ છતાં ભારતીય સંસ્કૃતિ અણનમ છે.
ભારતનો આર્થિક વિકાસ તીવ્ર ગતિથી થઈ રહ્યો છે વિશ્વના ટોપ ટેન ઇકોનોમીમાં ભારતનો સમાવેશ થઈ જશે જેને કારણે
આજે આપણે વિકાસના ઉચ્ચ શિખરે પહોંચી ગયા છીએ, તો બીજી બાજુ અનેક વૈશ્વિક સંકટો પણ ઊભાં કર્યાં છે.
આજે આપણું વિશ્વ એક ઇલેક્ટ્રોનિક કોર્ટેજ જેવું બની ગયું છે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી સાવ નજીક હોવા છતાં તે અમાપ અંતરે હોય તેવું આજે વાતાવરણ છે. Facebook પર હજારો ફ્રેન્ડસ હોવા છતાં સગા ભાઈ સાથે વાત કરવાનો સમય ન હોય તેવું આજે બની રહ્યું છે બીજી બાજુ લોકોનાં દિલો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. દુનિયામાં ઘૃણા, દ્વેષ, હિંસા, સંઘર્ષ, યુદ્ધો વગેરેમાં વધારો થયો છે. એકબીજા પ્રત્યે સદ્ભાવ, વિશ્વાસ તથા માનવીય મૂલ્યોનો નાશ થઈ ગયો છે.
આવી પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિની મહત્તા પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિ પોતાનાં શાશ્વતમૂલ્યોના કારણે વિશ્વસંસ્કૃતિની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે માણસના વ્યક્તિત્વને શુદ્ધ તથા પવિત્ર બનાવીને તેને દેવોપમ બનાવે છે. ભારતીય સંસ્કૃતિની મહાનતાની મુક્તકંઠે પ્રશંસા કરતાં વિશ્વવિખ્યાત કલા સમીક્ષક મેક્સમુલર કહે છે કે બીજા કોઈ દેશે ભારત જેવી ઉચ્ચ સંસ્કૃતિનું નિર્માણ કર્યું નથી. કોઈ પણ ધર્મને જીવનદર્શન સમજાવવામાં આટલી સફળતા મળી નથી. ભારતનું જ્ઞાન જેટલું ઉચ્ચ, સમૃદ્ધ તથા શક્તિશાળી છે એટલું બીજા કોઈ પણ દેશનું નથી.
ભારતીય સંસ્કૃતિના જ્ઞાન તથા વિજ્ઞાનથી મુગ્ધ થયેલા જર્મન વિદ્વાન મેક્સમૂલર આગળ લખે છે કે જો મને કોઈ પૂછે કે માનવીય મસ્તકની સૂક્ષ્મતમ શક્તિઓને વિકસિત કરવામાં કયા દેશે સફળતા મેળવી છે, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ પર વિચાર કર્યો છે તો હું ભારતવર્ષ તરફ ઇશારો કરીશ. પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓના કારણે ભારત પાસે આજે દુનિયાને બહુ મોટી આશા છે. વિશ્વ લોકોને દિશાબોધ કરાવવા માટે અને સાંસ્કૃતિક નેતૃત્વ કરવા માટે ભારત પાસે અપેક્ષા રાખી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિની વિકાસયાત્રા હજારો વર્ષોથી ચાલી આવી છે. મિસર, બેબીલોન, ગ્રીસ, રોમન તથા સુમેર જેવી પ્રાચીન સંસ્કૃતિઓના આજે માત્ર અવશેષો રહી ગયા છે. તેમનો વૈભવ નષ્ટ થઈ ગયો છે અને તે બધી સંસ્કૃતિઓ વિલીન થઈ ગઈ છે. ઈતિહાસના વિશેષજ્ઞો સિવાય બીજાકોઈને એમના વિશે કોઈ જ્ઞાન નથી.
ભારતીય સંસ્કૃતિની આ અમરતાનું કારણ તેનો સર્વધર્મ સમભાવ અને ઉચ્ચ અધ્યાત્મ, તેના અમરગ્રંથો જેવા કે વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, ષડ્દર્શન, રામાયણ, મહાભારત વગેરે છે. અહીંની પુણ્યભૂમિમાં યથાસમયે દિવ્ય આત્માઓ અને મહાપુરુષો નિરંતર પેદા થતા રહ્યા છે. તેઓ માત્ર ભારતને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સજ્ઞાનનો પ્રકાશ આપતા રહ્યા છે. આ જ કારણે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ આજે પણ યથાવત્ ટકી રહ્યું છે. અનેક આક્રમણખોરોએ તેનો નાશ કરવા માટે ભયંકર પ્રહારો કર્યા, પરંતુ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અધ્યાત્મની સામે તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા.
આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિને સમજવાની ગોલ્ડન કી છે. આપણું ઉચ્ચ અધ્યાત્મ તેને બીજી સંસ્કૃતિઓથી અલગ પાડે છે. આપણા દેશમાં આત્મા તથા પરમાત્મા વિશે જેટલું ચિંતન કરવામાં આવ્યું છે એટલું બીજે ક્યાંય નહિ થયું હોય. શ્રી અરવિંદ લખે છે કે ભારતીય સંસ્કૃતિમાં ધર્મ દ્વારા ક્રિયાશીલ થયેલું દર્શન અને એ દર્શન એટલે કે તત્ત્વજ્ઞાન દ્વારા આલોકિત ધર્મ જ નેતૃત્વ કરતો આવ્યો છે. બીજી બધી કલાઓ, કાવ્ય વગેરે તો માત્ર તેનું અનુસરણ કરે છે. નિઃસંદેહ ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વે અપનાવવા યોગ્ય એક માત્ર સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ આરંભથી જ આધ્યાત્મિક, અંતર્મુખી, ધાર્મિક તથા દાર્શનિક સંસ્કૃતિ રહી છે અને આજે પણ તેનું એ સ્વરૂપ ટકી રહ્યું છે. અહીં આધ્યાત્મિક મહાપુરુષોને જેટલી પ્રતિષ્ઠા મળી છે એટલી શ્રીમંતો તથા સત્તાધીશોને મળી નથી.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા તેની સર્વવ્યાપકતા તથા સમગ્રતા છે. જીવનની સંપૂર્ણ શુદ્ધિ તથા પવિત્રતા, સમાજનો સર્વાંગી વિકાસ અને આત્માનાઉત્કર્ષનું જે ચિંતન અહીં જોવા મળે છે તે અન્યત્ર દુર્લભ છે. જે વિચારશીલ અને સત્યનું સંશોધન કરનારા વિદેશીઓએ ભારતીય સંસ્કૃતિના શાશ્વત ચિંતનપ્રવાહમાં થોડીક પણ ડૂબકી મારી છે તેઓ હંમેશને માટે ભારતીય સંસ્કૃતિના ચાહક બની ગયા.
દરેક યુગમાં તથા દરેક દેશમાં ભારતીય સંસ્કૃતિના આવા ચાહકોની લાંબી યાદી જોવા મળશે. તેઓ આપણી સંસ્કૃતિના ઊંડા તત્ત્વજ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા હતા. ભારતીય સંસ્કૃતિએ જીવનના દરેક પાસા પર પ્રકાશ પાડયો છે. જીવનની લૌકિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષનું અદ્ભુત ચિંતન આપણને આપ્યું છે.
માનવ જીવનની સાર્થકતા વિશે ભારતીય સંસ્કૃતિ ઉચ્ચસ્તર ની વિચારધારા ધરાવે છે.જીવનનો ક્રમિક વિકાસ કરીને તેને ચરમ ઉત્કર્ષ સુધી પહોંચાડનારી વર્ણાશ્રમ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિની અનોખી વિશેષતા છે. સમયના પ્રવાહ સાથે એમાં થોડી વિકૃતિઓ આવી ગઈ છે, એમ છતાં એની પાછળ રહેલું તત્ત્વજ્ઞાન તથા સંદેશ અદ્ભુત તથા વિચારણીય છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કદાચ બીજી સંસ્કૃતિઓનું પણ થોડુંઘણું યોગદાન રહ્યું હશે. આર્યો, અનાર્યો, શક, હૂણ, ગ્રીક, કુષાણ, પારસી વગેરે અનેક પ્રજાઓ અહીં આવી અને આપણી સંસ્કૃતિમાં સમાઈ ગઈ. ભારતીય સંસ્કૃતિ અત્યંત ઉદાર છે. તેણે બધાનો સ્વીકાર કરી લીધો.
ભારતીય સંસ્કૃતિની આ સમન્વયકારી દૃષ્ટિ અદ્ભુત અને વિરલ છે. તે એક મહાસાગરની જેમ અનેક ઉત્તમ વિચારધારાઓને પોતાની અંદર સમાવી લે છે. તેણે બીજી સંસ્કૃતિઓની વિચારધારા, જ્ઞાન, તત્ત્વદર્શન, કલા વગેરેને આત્મસાત્ કરી લીધાં છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા છે.
ભારતીય સંસ્કૃતિની બીજી એક વિશેષતા તેની ઉદારતા તથા સહિષ્ણુતા છે. “એકં સદ્વિપ્રા બહુધા વદન્તિ” આ વેદવાક્યમાં તેનું ચિંતન બીજરૂપમાં જોવા મળે છે. ઈશ્વર એક જ છે, ભલે તેનાં નામ જુદાં જુદાં હોય. આપણા ધર્મમાં ૩૩ કોટિ દેવીદેવતાઓ માનવામાં આવ્યાં છે. બીજા ધર્મોનાં દેવીદેવતાઓનો પણ વિરોધ કરવામાં આવ્યો નથી કારણ કે ભારતીય સંસ્કૃતિ એવા કોઈ ભેદભાવમાં માનતી નથી. સમગ્ર વિશ્વમાં એક જ પરમાત્મા છે અને લોકો તેમને જુદા જુદા સ્વરૂપે પૂજે છે. આવી માન્યતા માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે.એના કારણે આપણી સંસ્કૃતિમાં ધાર્મિક દ્વેષ તથા વેરઝેર જોવા મળતાં નથી. આપણા કોઈ પણ સમ્રાટે બીજા ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ પાળતા હોવા છતાં બીજા ધર્મોનો આદર કરતા હતા તથા બ્રાહ્મણોને દાન આપતા હતા. તેઓ બધા સંપ્રદાયો વચ્ચે મેળ રહે એવો પ્રયાસ કરતા હતા. એના માટે વાણીનો સંયમ, ઉદારતા તથા સહિષ્ણુતા જરૂરી છે. લોકો ભલે પોતાના સંપ્રદાયનો આદર કરે, પરંતુ બીજા સંપ્રદાયોની નિંદા ન કરવી જોઈએ.
આપણી સંસ્કૃતિમાં સત્ય, ન્યાય, અહિંસા, શાંતિ, પ્રેમ, ઉદારતા વગેરે ગુણોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપનિષદોનું મહાવાક્ય “સત્યમેવ જયતે” આજે પણ આપણા રાષ્ટ્રનું પ્રેરક વાક્ય છે. ભારતીય સંસ્કૃતિની બીજી એક વિશેષતા કર્મફળનો સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં આ સિદ્ધાંતને ઉત્તમ રીતે સમજાવવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી તેનો સંદેશ મેળવીને વિષાદગ્રસ્ત થયેલો અર્જુન ધર્મયુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. માત્ર ધર્મ દ્વારા નહિ, પરંતુ ઉત્તમ કર્મો દ્વારા માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધર્મયુક્ત કર્મ મોક્ષ. મેળવવાનું સાધન છે. કુકર્મો મનુષ્યને અધોગતિ તથા પતન તરફ લઈ જાય છે, જ્યારે સત્કર્મથી માણસનું ઉત્થાન થાય છે અને તે મોક્ષના માર્ગે આગળ વધે છે. માણસનો આ લોક અને પરલોક સુધરી જાય છે.
દુનિયાએ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ માની છે એનું કારણ તેનાં શાશ્વત અને ઉચ્ચમૂલ્યો છે. “આત્મવત્ સર્વભૂતેષુ” અને “વસુધૈવ કુટુંબકમ્” જેવું ઉદાત્ત અને મહાન જીવનદર્શન ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવી દે છે. આટલી બધી ઉદારતા, ઉદાત્તતા તથા મહાનતા દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી.
Sureshbhatt
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें